“ભીની માટી ની સુગંધ” –અનાયાસ ઝિંઝુવાડીયા
“ભીની માટીની સુગંધ”
આજે આર્યાન કેટલાય દિવસે એની મુલાયમ ગાદી વાળી આરામ ખુરશીમાં હમણા જ તૈયાર થઇને બેઠો હતો. વાતાવરણમાં થોડી હલકી હલકી ઠંડક હતી. ધીમે ધીમે વહેતી હવા ભેજ સાથે ઠંડકનો અનુભવ કરાવતી હતી. એ ભીની હવાના સ્પર્શથી જ ખબર પડતી હતી કે વાતાવરણમાં થોડાક કલાક પહેલા પડેલા વરસાદની યાદો હજી પણ એટલી જ તાજા છે. આમતો અમેરીકા જેવા દેશમાં માટીની સુગંધ બહુ ઓછી અનુભવવા મળે પરંતુ આર્યાનના આલિશાન ઘરની બહાર ક્રિકેટ રમી શકાય એટલી મોટી ઘાંસવાળી ખુલ્લી જગ્યા છે. આકાશ પણ ચોખ્ખું અને ચારેય ખુણે આછું ગુલાબી રંગીન છે. દૂર દૂર મેઘ-ધનુષના આછા રંગો આચ્છાદિત થાય છે. એ વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ એવી ઇચ્છા થાય કે શાંતીથી બેસીએ અને કશુંજ કર્યા વગર આંખો બંધ કરીને આ આલહાદક વાતાવરણમાં મગજના થાકેલા ચેતાતંતુઓને થોડોક સમય આરામ આપીએ. આર્યાનને આવું વાતાવરણ પહેલેથી જ બહું ગમે છે. ભારત જેવા દેશોમાં ઋતુઓ વહેંચાયેલી હોય છે જ્યારે અમેરિકામાં ઋતુઓ ભરોસા પાત્ર નથી. અહીં વર્ષમાં બહુ જ ઓછા દિવસો હોય છે જ્યારે આ આલહાદ્ક અને હદય સ્પર્શી ઋતુનો આનંદ માણી શકાય છે. અમેરિકાના કેર્લિફોનીયા જેવા વિસ્તારમાં બહું વાંધો ન આવે કારણ કે ત્યાં ભારત જેવું જ ખુશનુમા ઋતુઓ સભર વાતાવરણ બારેય માસ મળી રહે છે. પરંતુ ન્યુયોર્કની તો વાત જ નથી થાય એવી. આકસ્મિક ઋતુઓનો ફેરફારએ ન્યૂયોર્કનું આગવું લક્ષણ છે. મન ફાવે ત્યારે થીજવીનાખે એવો બરફનો વરસાદ , ક્યારેક ક્યારેક વળી પાછો સખ્ખત વરસાદ અને મન થાય તો પરસેવાથી પલાળે એવી ગરમી પણ અહીં પડે છે. છેલ્લા ૩૮ વર્ષોથી આર્યાન આ જ વૈવિધ્ય સભર ન્યૂયોર્કમાં રહે છે. જ્યાં લોકો, જાત ,રંગ અને ઋતુઓમાં ડગલે ને પગલે ભિન્નતા જોવા મળે છે. આટલા વર્ષો ન્યૂયોર્કમાં વિતાવ્યા હોવા છતાં આર્યાનમાં કોઇજ બદલાવ આવ્યો નથી. એ આજે પણ શાંત ને શીતળ સ્વભાવનો છે. છેલ્લા ૩૮ વર્ષોથી ન્યૂયોર્કમાં રહેતા હોવા છતાં આર્યાન ભારતની માટીની સુગંધ આજે પણ ભૂલાવી શક્યો નથી. આજે પણ વરસાદ પછીના ન્યૂયોર્કના આ વાતાવરણના રંગોમાં એ ક્યાંક ને ક્યાંક ભારતની એ ભીની માટીની સોડમના અંશો શોધતો ફરતો હોય છે.
આર્યાનની ઊંમર આજે ૬૦ વર્ષની છે. જીદંગીના આ સફરમાં આર્યાને દરેક ઊતાર-ચડાવ ના અનુભવો કરેલા છે. એણે જોયેલા ઘણા સપના આજે ૩૮ વર્ષો પછી એની જીદંગીમાં હકિકત બની રમે છે. આજે શું નથી આર્યાન પાસે? દુનિયાનો દરેક વૈભવ કે જેમાં ગાડીઓની હરોળથી માંડીને બંગલાઓની હારમાળા તથા ફેક્ટરીઓના અગણિત આંકડાઓનો સમાવેશ થાય છે. એ ઊપરાંત એક ખુબજ ખુશીથી હર્યું ભર્યું કુટુંબ અને ખુબ જ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા દરેક કુટુંબીજન. આર્યાનની જીદંગીની સૌથિ મોટી પૂંજી એ એના સારા , સમજુ અને સંસ્કારી એવા એક પુત્ર અને એક પુત્રી હતી. આજે અમેરિકા જેવા દેશમાં આટલા વર્ષોથી રહેતા હોવા છતાં આર્યાન એના પુત્ર અનાયાસ,પુત્રવધૂ તથા પૌત્ર સાથે સહકુટુંબ શાંતીથી રહે છે જેના પર આર્યાન ને ખુબ જ ગર્વ છે. આજે જોવા જોઇએતો દુનિયાની કોઇ વસ્તુ એવી નહીં હોય કે જે આર્યાન પાસે નહીં હોય અથવા મેળવવા માટે સક્ષમ ન હોય. અનાયાસ કે જે આર્યાનનો એક અને માત્ર એક જ પુત્ર છે એ આર્યાનના બિઝનેસને વિશ્વની ટોચે પહોંચાડવાનું કાર્ય ખુબ જ સફળતા પૂર્વક કરે છે. આર્યાનની પુત્રી જેનું નામ આર્યા છે એ ખુબ જ સફળ ડોક્ટર ( કાર્ડિયોલોજીસ્ટ) છે. આજે ૬૨ વર્ષે પણ આર્યાન ખડતલ અને મજબૂત બાંધાનો તથા પ્રભાવશાળી મુખમુદ્રા ધરાવે છે. આર્યાન ને જોવાવાળા આજે પણ એકવાર વિચાર કરવા જરૂર મજબૂર થઇ જાય છે કે આ પ્રભાવિત ચહેરા પર હમેંશા કશુંક કહેતી મોટી-મોટી આંખોના ઊંડાણમાં ઊતરવાના પ્રયત્નો ક્યારેય કોઇએ કર્યા હશે કે નહીં?
આર્યાનને આજે પણ બાળપણના એ દિવસો યાદ કરતાની સાથે જ નાના બનીને મસ્તી કરવાની ઇચ્છા થઇ જાય છે. એની બાળપણની ભૂમિ સંતરામપુર કે જે પંચમહાલ જીલ્લામાં એક નાના તાલુકા તરીકે ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. સંતરામપુર આર્યાન માટે એક નાના સ્વર્ગ સમાન છે. ગામની બહાર ડુંગરો છે. ડુંગરોની તળેટીમાં આવેલા મોટા-મોટા ખેતરો છે. અને એ ખેતરોને અડીને રહેલા ખુલ્લા મેદાનો છે. મેદાનોમાં ઠેર-ઠેર છૂટા છવાયા ઘર આવેલા છે. પાછું દરેક ઘરની બહાર ક્રિકેટ રમી શકાય એટલી મોટી ખુલ્લી જગ્યાઓ છે. અને એ ઘરની બહાર આર્યાને બેસીને જોયેલી રોજ સવાર-સાંજ સૂરજની ડુંગરો પાછળની સંતાકૂકડી અને એ સંતાકૂકડીની રમતના આકાશની ક્ષિતિજો પરના વૈવિધ્ય રંગોની છાપ આર્યાનને આજે પણ એટલા જ યાદ આવે છે. ખાસ કરીને જ્યારે પણ વરસાદ પડતો ત્યારે ઘરની બહાર વરસાદના પાણીથી ભીની થયેલી માટીમાં આર્યાનને એકરસ થઇને રમવું ખૂબ જ ગમતું હતું. ગુજરાતની કાઠિયાવાડી બોલીમાં ભીની માટીને ” ગારો ” કહેવાય છે. આર્યાનની એ વરસાદના ગારાના સામ્રાજ્યમાં મુક્તપણે વિહરવાની શરૂઆત એ જ્યારે ૬-૭ વર્ષનો હતો ત્યારથી થયેલી. વર્ષાઋતુમાં વરસાદ જેવો બંધ થાય એવું તરત જ આર્યાન અને એના જેવા લહેરીલાલો ઘરની બહાર એ ભીની માટીમાં રમવા નિકળી પડતાં. ખાસતો આર્યાનને આજે પણ એ યાદ આવે છે કે એ ભીની માટીમાં સૌ પ્રથમ એ મંદિર બનાવતો. એના પર સાવરણીની સળીમાં ત્રિકોણ કાગળ ભરાવીને એની ટોચ પર ધજા બનાવતો. ધીમે-ધીમે ગારામાં રમતા-રમતા આર્યાન એ મંદિરની આજુ-બાજુ ઘરો અને કૂવા બનાવતો અને જોતમાં જોતામાંતો ભીનીમાટીનું આખું નગર ઊભું કરી દેતો. આર્યાનને એ માટીના બનેલા નગર રચનાના પ્રતિબિંબ જે એના આખાય કપડા પર જોવા મળતા એ હજી પણ યાદ છે. જ્યારે પણ બીજા કોઇ આર્યાનને એ હાલતમાં જોતા ત્યારે આર્યાન એ ભીનીમાટીના નગરનો રાજાના હોય જાણે એવું લાગતું. આર્યાન આજે પણ જ્યારે બાળપણના એ ઔલોકિક દિવસો યાદ કરે છે ત્યારે એને એજ રીતે ભીની માટીના સામ્રાજ્યના રાજા થવાની ઇચ્છા થાય છે.
આજે જ્યારે વરસાદના હલકા-હલકા પારદર્શક ટીપાં આર્યાન જોવે છે ત્યારે આર્યાનને મિત્રો સાથેના જૂના દિવસો યાદ આવી જાય છે. જ્યારે પણ વરસાદ ચાલુ થતો આર્યાન અને તેના મિત્રો સાઇકલની રેસ લગાવતા. ક્યારેક-ક્યારેક તો રેસમાં ને રેસમાં બધા ગામની બહાર આવેલા ખુલ્લા મેદાનોમાં પહોંચી જતા. એ મેદાનો ચારેય બાજુથી લીલાછમ ડુંગરોથી ઘેરાયેલા હતા. એ વખતે એક તો આખુંય શરીર વરસાદનાં પાણીથી તરબોળ હોય અને બીજી બાજું ખાબોચિયામાં કૂદા-કૂદ કરીને એકબીજાના કપડા બગાડવાની મજા પણ કંઇક અલગ જ આવતી હોય. ગુજરાતના ગામડામાં ભીની માટીમાં રમવાની એક રમત ખૂબજ પ્રચલિત હતી. એ રમતમાં અણિદાર-ધારદાર સળિયાને ભીનીમાટીમાં છૂટ્ટી ખોપવાનું હોય . આર્યાન અને એના મિત્રો વરસાદમાં સળિયા મળે તો સળિયા નહિંતર ગણિત વિષયમાં ભૌમિતિક રચનાઓ દોરવા વપરાતું ” પરિકર ” લઇને ભીનીમાટીને ખૂંદવા નીકળી પડતા. આ રમતમાં જે પણ સૌથી વધારેવાર સળંગ સળિયાને ભીનીમાટીમાં ખોપી શકે તે જીતતું. આર્યાન જ્યારે આ આલહાદ્ક મિત્રો સાથેની રમતની યાદોને વાગોળે છે તો આજે પણ એને એ ખબર નથી પડતી કે એ રમતમાં મિત્રો સાથે બપોરની સાંજ અને પછી સાંજની રાત ક્યારે થઇ જતી હતી. સંધ્યાકાળે આજ રમતમાં ને રમતમાં ભીનીમાટીના સામ્રાજ્યનો આ રાજા સામ્રાજ્યની ક્ષિતિજોની શોધમાં ખોવાઇ જતો હતો.
આર્યાનમાં કોલેજના દિવસોની યાદ આજે ૬૦ વર્ષે પણ રોમાંચ અને ચંચળતા લાવી મૂકે છે. આર્યાનનું માનવું છે કે કોલેજ કાળ દરમિયાન વિદ્યાર્થીની જીદંગીમાં ચાની કિટલીનું મહત્વ ખૂબજ વધારે હોય છે. આર્યાને પણ કોલેજના દિવસોમાં સૌથી મહત્વનો સમય એણે કોલેજની બહાર આવેલી ચાની કિટલી જેનું નામ ” સાંઇ કિટલી ” હતું ત્યાં જ કાઢેલો છે. જ્યારે જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે ભણવાનું તો ક્યારેય ગમેજ નહીં. અને એમા પણ પરાણે ક્લાસમાં બેઠા હોઇએ અને ભણવામાં ધ્યાનના હોવાથી ક્લાસની બહાર જવાનું બહાનું શોધતા હોઇએ. ચોમાસામાં જ્યારે પણ આ સંજોગોમાં વરસાદ પડે ત્યારે ત્યારે ક્લાસ પાડવાનું એક ઊત્તમ બહાનું મળી જતું. જેવા વરસાદના ટીપા ક્લાસની બારીની બહારના વાતાવરણને ચિરતા જમીનમાં સમાય તરત જ એક આલહાદ્ક-માદક સુગંધ આખાય વાતાવરણમાં પ્રસરી જતી હતી. અને એ માદક સુગંધના નશામાં ચૂર થવા કદાચ ચાની કિટલીથી ઊત્તમ સ્થાન આર્યાનની દ્રષ્ટીએ નથી. થોડી જ વારમાં આર્યાન અને આર્યાનના મિત્રોની ટોળકી ઘ-૬ , સેક્ટર ૨૩ની ચોકડીના ડાબા ખૂણે આવેલી ” સાંઇ કિટલી ” પર એની શોભા વધારતા એવા સિંહાસન રૂપી નાના ટેબલ અને મૂંઢા લઇને ગોઠવાઇ જતી. થોડીજ વારમાં વરસાદની એ ભીનીમાટીની સુગંધમાં આભૂષણ રૂપી કડક ચા અને ગરમા-ગરમ દાળવડાની સુગંધ પ્રસરે ત્યારે વાતાવરણ જાણે સોળે કળાએ જૂમી ઊઠતું. અને જ્યારે કિટલી પર બેસીને એ ચાના કપમાં વરસાદના ટીપાં પડે ત્યારે એ ટીપા ચામાં એવા ભળે કે જાણે જીવનના બધા જ રસ એ ચા રૂપી જીવનના પ્યાલામાં આવી જાય છે. અને આર્યાનને વર્ષાની એ ઋતુમાં આ જીવન રસ પીવાની મજા આગળ તો ન્યૂયોર્કની ચમક-દમક પણ હંમેશા ઊતરતિ લાગે છે. મિત્રો સાથેની મસ્તીભરી એ યાદો આજે પણ આર્યાનને ફરીથી યુવાની જીવવાની ઇચ્છા વારંવાર ઊભી કરાવે છે.
આર્યાનની જીદંગીની યાદોમાં સૌથી મહત્વનૉ સમય એ એણે પ્રકૃતિ સાથે ગાળેલા ૨ વર્ષનો છે. આજે જ્યારે આર્યાનના કપાળ અને પાંપણો પર વરસાદના ટીંપા પડે છે ત્યારે એને પ્રકૃતિ સાથેના એ સુંદર અને પ્રેમાળ દિવસો યાદ આવે છે. એ ૨ વર્ષોમાં વર્ષાઋતુમાં દુનિયાથી સંતાતા-છુપાતા આર્યાન અને પ્રકૃતિ આર્યાનની મોટર-સાઇકલ પર સીધા જ અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર નિકળી પડતા હતા. દુનિયાના બંધનોથી આઝાદ, મુક્ત પંખીની જેમ આ વાતાવરણમાં મોટર-સાઈકલ પર ઊડવાની મજા જ કંઇક અલગ હતી. પ્રકૃતિ આર્યાનની છાતી પકડીને બેસતી અને માથુ આર્યાનની પીઠ પર મૂકતી હતી. અને પછી જોરથી આર્યાનને પાછળથી જ બે હાથ વચ્ચે લઇને દબાવતી. આ સાથે જ આર્યાન મોટર-સાઇકલની ઝડપ વધારી દેતો અને ખૂબ જ ઝડપી મોટર-સાઇકલ ચાલ્યું હતું. એ વખતે પ્રકૃતિ એનું મોઢું આંખો બંધ કરીને આકાશ તરફ રાખીને વરસાદના ટીપાને એના મુખ પરનૉ સીધોજ સ્પર્શ માણતી અને આર્યાન એને ખાલી પ્રેમ પૂર્વક જોયા જ કરતો. આમ ને આમ મોટર-સાઇકલ પર એસ.જી.રીંગ રોડ ની બંને બાજુએ ફેલાયેલા મોટા-મોટા ખેતરોની ભીનીમાટીની સુગંધના કલ્પનારૂપી વાદળો પર આર્યાન અને પ્રકૃતિ કલાકોના કલાકો પ્રેમથી વિહરતા.
આર્યાન આજ ભૂતકાળની યાદો આરામ-ખુરશીમાં બેસીને વાગોળતો હતો. થોડેક નજીકમાંજ એનો પૌત્ર આંગણામાં કંઇક રમતો હતો. આર્યાનનું મન ખુબજ વિચારે ચડ્યું હતું કે ” જીદંગીમાં બધુ મેળવ્યું હોવા છતાં આજે આર્યાન જીદંગીની થોડીક નાની પળો પણ પાછી નથી મેળવી શક્તો “. આજે એને એ ખબર નથી પડતી કે આજે શું કરવું? પોતાની સફળતા પર ગર્વ કરવો કે પોતાની આજની આ લાચારી પર દુઃખી થવું?. આજ અસંમજસમાં આર્યાન ખોવાયેલો હતો ત્યાંજ એના ખભા પરથી કોઇકના હાથ સરકતા આગળ આવીને એના ગળાની આજુબાજુ હારની જેમ વીંટળાઇ જાય છે. આ હારરૂપી હાથ પ્રકૃતિના હોય છે. જો શુધ્ધ શબ્દોમાં કહું તો ” પ્રકૃતિ આર્યાન રામી ” કે જે એક સમયની આર્યાનની પ્રેમીકા અને આજે વર્ષોથી એની જીદંગી આ લાંબી સફરની એક માત્ર સાક્ષી અને ધર્મપત્નિ. આર્યાન પ્રકૃતિના હાથને હાથમાં લઇને બાજુમાં બેસાડે છે અને કહે છે :
“ સપના અને વસ્તવિકતા વચ્ચે નો ફરક એટલો જ હોય છે ખાલી,
કે ઘણા જીવતા જ મરેલા હોય છે અને ઘણા તો મરીને પણ જીવી જાય છે.
કે જીવન-મરણ નુ આ ચક્ર આપડા હાથ મા નથી હોતુ,
કારણ કે અન્તે તો બધુ રાખ જ બની જાય છે.
કે ભલેને જીદંગી ની આ રેસ મા કોઇ કેટલુ પણ કેમ ના જીતે
પણ અંતે મોત ના હાથે તો હારી જ જવાય છે”
પ્રકૃતિ આર્યાનની આ પંક્તિઓ સાંભળીને એની મનઃસ્થિતી ભાખી લે છે અને પ્રેમથી એનો હાથ આર્યાનની છાતી પર ફેરવે છે. આર્યાન વાત આગળ વધારતા પ્રકૃતિને કહે છે ” પ્રકૃતિ, હું કદાચ જીદંગીની દોડમાં બહુજ આગળ આવી ગયો છું. આજે મારી પાસે બધૂજ છે છતાંય અંદરથી કંઇક અધૂરૂં લાગે છે. મને એટલે કે આર્યાન રામીને- રામી એમ્પાયર્સના માલિકને આજે કંઇક જોઇએ છે પણ જીદંગીનો મજાક જો તું કે વર્ષો જૂની એ નાની પળો જીવવા કે ખરીદવા મારી પાસે પૂરતી કિમંત હજી આજે પણ નથી. કોઇ પણ ભોગે હું જીવનની નાની પાંચ પળો પણ નથી મેળવી શક્તો. શું કામનું આ બધું? આંખોમાં લાગણી અને હોઠો પર સ્મિત સાથે પ્રકૃતિ આર્યાનના ખભા પર માથું મૂકે છે અને વહાલ-પૂર્વક છાતી પર ધીમે-ધીમે હુંફાળો હાથ ફેરવે છે.
આ આર્યાન અને પ્રકૃતિ નો આ વાર્તાલાપ ઘરના આંગણે રમતો આર્યાનનૉ પૌત્ર (અનાયાસનો પુત્ર) સાંભળે છે. એ બાળકના વિચારોમાં ખાલી એટલું જ બેસે છે દાદાને કંઇક એવું જોઇએ છે જે અત્યારે એમને મળતું નથી. એટલે એ મેળવી આપવાના ઊત્સાહમાં ને ઊત્સાહમાં એ આર્યાન અને પ્રકૃતિ જ્યાં બેઠા હોય છે ત્યાં દોડતો પહોંચી જાય છે અને એના કાલા-કાલા તથા મીઠા શબ્દોમાં આર્યાનને કહે છે ” આર્યાન દાદા આર્યાન દાદા બોલો શું જોઇએ છે કે તમને નથી મળતું, બોલો-બોલો એક વાર કહો મને હું તરત જ હમણા જઇને લઇ આવું ” આર્યાન અને પ્રકૃતિ એની એની સામે વહાલ ભરી નજરે જોવે છે. આર્યાન એને હસતામુખે એને પોતાના ખોળામાં બેસાડે છે અને શૂન્યમનસ્ક અને આંસુભરી આંખો સાથે એના વાળમાં ધીમે-ધીમે હાથ ફેરવતા કહે છે ” બેટા લાવી આપને મને એ ભીનીમાટીની સુગંધ“
— અનાયાસ ઝિંઝુવાડીયા




